કચ્છની મહિલાઓની આંગળીના ટેરવે હસ્તકલાનો વાસ છે – વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ

        કચ્છની હસ્તકલા વિશ્વવિખ્યાત બની છે. દેશ-વિદેશમાં વિવિધ હસ્તકલાની પ્રોડકટની ખૂબ માંગ છે. હસ્તકલા દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, વિદેશી હુંડીયામણ કમાવી આપે છે ત્યારે આગામી પેઢી પણ આ કલાવારસાને જાળવી રાખે તથા આ કલા થકી મહિલા પગભર બને તે માટે નિષ્ણાંત કારીગરો અન્ય યુવાનો તથા મહિલાઓને તાલીમબદ્ધ કરે તેવી અપીલ નાબાર્ડ દ્વારા ભુજ હાટ ખાતે પ્રાયોજિત ત્રિ-દિવસીય રાજય સ્તરીય હાથશાળ અને હસ્તકલા મેળાનું ઉદઘાટન કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

        વિધાનસભા અધ્યક્ષાએ અહીં કચ્છ સાથે રાજયભરમાંથી આવેલા ૪૦ સ્ટોલધારક કારીગર- કલાકારોની મુલાકાત લઇને તેમની પ્રોડક્ટ અંગે ઝીણવટભરી માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સ્ટોલ મુલાકાત ટાંકણે કલાકારોની મહેનતને બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે મંચ પરથી રાજયભરના કારીગરોને સંબોધિત કરતા પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે, એક સમય હસ્તકલાને પુરતો અવકાશ ન હતો, કારીગરોને પુરતુ વળતર મળતું ન હતું. ફેશન અંગે પણ જ્ઞાન ન હોવાથી કારીગરો બજારની માંગથી અજાણ હતા. આ સમયે તેઓ મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરપર્સન હતા અને આ બાબતો તેમના ધ્યાને આવતા તેમણે કારીગરોને યોગ્ય બજાર, માર્ગદર્શન અને આર્થિક ટેકો મળી શકે તે માટે પ્રોજેકટ તૈયાર કર્યો હતો. રાજ્ય સzરકારે રકમ મંજૂર કરતા ગામડે ગામડે ફરીને મહિલાઓને પગભર કરવા માટે નવી ડિઝાઇન, ટકાઉ કાપડ વગેરે આપીને તેમની પાસેથી માલ બનાવડાવી તેનું એકઝીબિશનમાં વેચાણ કરવામાં આવતું હતું. આમ ધીમે ધીમે કચ્છની ભરતકામ સહિતની કલાઓને રાજ્ય અને રાજ્ય બહાર ઓળખ પ્રાપ્ત થઇ હતી. ઉપરાંત મહિલા તથા અન્ય કારીગરોને બજાર અને લોકોની માંગ અંગે સંજ્ઞાન મળતા તેઓ પણ સક્રીયપણે આ દિશામાં કામગીરી આરંભી હતી. જેના પરીણામ સ્વરૂપ વર્તમાન સમયમાં દેશ-વિદેશમાં કચ્છના કારીગરો પોતાની પ્રોડકટનો ડંકો વગાડી રહ્યા છે.

        તેઓએ નાબાર્ડને કચ્છના હસ્તકલાના કારીગરોને ફેશન ડિઝાઈનર લાવીને તાલીમ આપવા, તેમજ સ્કીલ ડેવલપમેન્ટના કલાસ કરાવવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આજે હેન્ડલુમ અને હસ્તકલાની પ્રોડકટની ભારે માંગ હોવાથી મહિલા આમાં સક્રીયપણે જોડાય તે જરૂરી છે. જેનાથી લુપ્ત થકી કલા જીવંત રહેશે તેમજ કલાવારસો જળવાઇ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કારીગરોની સતત ચિંતા સેવી રહ્યા છે. વિવિધ યોજનાઓ અમલી કરી છે જેનાથી દેશના અનેક કારીગરો લાભાન્વિત થયા છે. તમામને ઓળખકાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે.

        આ ટાંકણે નાબાર્ડ ગુજરાતના મુખ્ય મહાપ્રબંધક ડો.જ્ઞાનેન્દ્ર મણિએ નાબાર્ડની કામગીરી અંગે છણાવટ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કચ્છ હસ્તકલાની ખાણ છે. અહીં કલસ્ટર બનાવીને નાબાર્ડ તેને દત્તક લેશે. જેમાં આર્થિક સહાય, માર્કેટ અને તાલીમ સહિતની કામગીરી કરાશે. તેમણે કારીગરોને પણ જ્યા પણ કલસ્ટર બનાવવાની જરૂરિયાત હોય તો જણાવવા અનુરોધ કર્યો હતો. કારીગરોને પ્રોત્સાહન આપીને કલાવારસાને જીવંત રાખવાનો તથા કૃષિ સિવાય ગ્રામીણકક્ષાએ હેન્ડલુમ અને હસ્તકલા બીજા નંબરનું આવકનું સાધન બને તેવો નાબાર્ડનો પ્રયાસ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

        આ પ્રસંગે વિવિધ કલામાં કાઠુ કાઢનાર કારીગરોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કારીગરોને લોન મંજૂરી પત્રકો આપવામાં આવ્યા હતા.

        કાર્યક્રમમાં નાબાર્ડ ગુજરાત મહાપ્રબંધક સી. સરસ્વતી, અગ્રણી બેંક પ્રબંધક મહેશકુમાર દાસ,  રોગાન આર્ટના માસ્ટર આર્ટિસ્ટ પજ્ઞશ્રી અબ્દુલ ગફુર ખત્રી,  ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કનક ડેર, અકરી મોટા થર્મલ પાવરસ્ટેશનના મહાપ્રબંધક કર્નલ મનવંતસિંહ જોહર તેમજ અન્ય અગ્રણી, સર્વ કારીગરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment